વિટામિન-બી૩ (VIT-B3 OR NIACIN )

પ્રાપ્તિ સ્થાન

VIT-B3 પણ પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય બંન્ને પદાર્થોમાંથી મળે છે. માંસ, માછલી, પોલ્ટ્રિ જેવા પ્રાણીજન્ય પદાર્થો તેમજ દાળો, આખાઅનાજ, સૂકોમેવો તથા તેલીબિયાં જેવા વનસ્પતિજન્ય પદાર્થો VIT-B3ના(નાયસીન) સારા સ્ત્રોત છે. શરીરમાં ટ્રિપટ્રોફાન નામના એમિનો ઍસિડથી નાયસીનની રચના થઈ શકે છે. મતલબ કે ટ્રિપટ્રોફાન એમિનો ઍસિડ નાયસીનમાં પરિવર્તિત થાય છે. દૂધ આ ટ્રિપટ્રોફાનનું એક બહુ જ સારુ સ્ત્રોત છે. દૂધના પ્રોટીનમાં રહેલુ ટ્રિપટ્રોફાન એમિનો ઍસિડથી શરીરમાં નાયસીન મેળવી શકાય છે. આ રીતે દૂધ માંથી અમુક માત્રામાં નાયસીન મળી શકે છે. પણ એમાંથી નાયસીન વધારે માત્રામાં મેળવી શકાતુ નથી. આપણા શરીરની 1 મિલિગ્રામ નાયસીનની જરૂરિયાત માટે 60 મિલિગ્રામ ટ્રિપટ્રોફાન જરૂરી છે.

શોષણ અને કાર્ય

VIT-B3(નાયસીન) પણ VIT-B2ની(રિબોફ્લેવિન) જેમ એક સહઊત્સેચકનો ભાગ છે કે જે કાર્બોદિતપદાર્થ, ચરબી તથા પ્રોટીનમાંથી શક્તિ મેળવવા સહાયતા કરે છે. આમ, VIT-B3(નાયસીન) કાર્બોદિતપદાર્થ, ચરબી તથા પ્રોટીનના ચયાપચયમાં સહાયતા કરે છે. VIT-B3(નાયસીન) ચેતા અને પાચકતંત્રના કાર્યોમાં મદદ કરે છે. તે ખોરાકના ચયાપચયમાં અને લાલ રક્તકણો તેમજ ત્વચાની રચના કરવામાં ભૂમિકા ભજવે છે. NAD અને NADP એ બંન્ને નાયસીનના સહઊત્સેચકો છે. જે શરીરમાં શક્તિ ઊત્પન્ન કરવામાં ભાગ ભજવે છે. ખોરાકમાંથી લેવાયેલુ VIT- B3(નાયસીન) નાના આંતરડામાં શોષાય છે અને ત્યાંથી લોહી દ્વારા શરીરના જુદાં-જુદાં કોષોમાં પહોચેં છે.

શરીર પર અસર

VIT-B3 ની ઊણપની અસર મુખ્યત્વે ચામડી(skin), પાચન તંત્ર(digestive system) તેમજ ચેતાતંત્ર(nervous system) પર જોવા મળે છે. VIT-B3 ની ઊણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે. માણસને ઝાડા થાય છે અને જીભ સૂજી જઈ લાલ થઈ જાય છે. સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેતા શરીરના ભાગો પર તથા કોણી અને ડોક જેવા ઘસાતા ભાગોમાં ખૂજલી આવે છે અને બળતરા થાય છે. આ ભાગની ચામડીના કણોનો નાશ થાય છે. મનુષ્ય માનસિક રીતે નિરુત્સાહી બની જાય છે, ગૂંચવાય છે અને તેની યાદશક્તિ નબળી પડે છે. જો રોગની સારવાર સમયસર કરવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
Scroll to Top