આપણે આહાર શા માટે ખાઈએ છીએ ? આહારની આપણા શરીર પર શી અસર થાય છે? શરીરના ઘડતરમાં આહાર કેવો ભાગ ભજવે છ ? આહારના કાર્યો શું છે ? આહારનુ મહત્વ શું છે ? આહાર માંથી મળતા કયાં પોષકતત્વનુ શું કાર્ય છે?
આહાર આપણી મૂળભૂત જરૂરિયાતમાંની એક જરૂરિયાત છે. આપણા માટે આહાર ઘણો અગત્યનો છે. આપણી સાધારણ તંદુરસ્તી જાળવવા આહાર મહત્વનો છે. તેનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં મદદ મળે છે.
આહાર વિવિધ ક્રિયાઓ કરવા માટે શકિ્ત આપવાનું કાર્ય કરે છે. આહાર જીવન ટકાવી રાખવા અને શરીરના વૃધ્ધિ-વિકાસ માટે જરૂરી પોષકતત્વો પૂરાં પાડે છે. આહાર આપણી દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે તેમજ વિવિધ રોગો, ઈજાઓ અને ચેપ સામે રક્ષણ આપે છે.આહાર માનસિક સંતોષ આપે છ તેમજ સામાજિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ બને છે.
આ બધાંજ મહત્વના પાસાઓ પરથી આહારને મુખ્ય ત્રણ કાર્યોમાં વહેંચી શકાય.

A) દેહધાર્મિક કાર્યો
(B) મનોવૈજ્ઞાનિક કાર્યો
(C) સામાજિક કાર્યો
(A) દેહધાર્મિક કાર્યો
આહારમાંથી આપણે કાર્બોદિતપદાર્થો, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનીજક્ષાર , પાણી જેવા પોષકતત્વો મળે છે. આ બધાંજ પોષકતત્વો આપણી દેહધાર્મિક ક્રિયાઓની કાર્યરીતિમાં મદદરૂપ થાય છે. આમાનાં એક કે વધુ ઘટકોની ઊણપ કે અધિકતા હોય તો આપણા શરીરની ક્રિયાઓ યોગ્યરીતે થતી નથી. આહારમાંથી મળતા પોષક ઘટકો દેહધાર્મિક કાર્યમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે આપણે જોઈએ. આહારના દેહધાર્મિક કાર્યને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.
- શક્તિદાયક કાર્ય
- શરીર-ઘડતર (વૃદ્ધિ -વિકાસ) નું કાર્ય
- શરીર-નિયમન તથા શરીર-સંરક્ષણનું કાર્ય

1. શક્તિદાયક કાર્ય : બેસવું-ઊઠવું, ઊભારહેવું-ચાલવું-દોડવું, ચઢ-ઊતર કરવી, રસોઈ, સિલાઈ, ઘરકામ, સાઇકલ ચલાવવી, કસરત કરવી વગેરે જેવી ક્રિયાઓ કરતી વખતે શરીર દ્વારા શક્તિ વપરાય છે. ઊપરાંત આપણા શરીરમાં સતત ચાલતી અનૈચ્છિક ક્રિયાઓ જેવીકે રુધિરાભિસરણ ,શ્વાસોચ્છ્વાસ, પાચન, શોષણ, ઉત્સર્જન તથા શરીરના તાપમાનની જાળવણી વગેરેમાં પણ શક્તિ વપરાય છે. આપણા જીવનને ટકાવી રાખવા માટે આ બધી ક્રિયાઓ ખૂબ જ મહત્વની છે. સખત પરિશ્રમ કર્યા પછી ભૂખ લાગે છે તે આપણે જાણીએ છીએ. કોઈ પણ શારીરિક કાર્ય કરતી વખતે આપણા શરીર દ્વારા શક્તિ વપરાય છે. શક્તિ મેળવવા માટે આપણા શરીરમાં ખોરાક નો ઉપયોગ થાય છે.
ખોરાક આપણા જીવનને ટકાવી રાખવા તથા કાર્ય કરવા માટેની શક્તિ પૂરી પાડે છે.
શરીર ને કાર્ય કરવા માટે શક્તિ પૂરી પાડનાર પોષક તત્ત્વો ‘ કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન હોય છે. આ બધામાંથી શક્તિની જરૂરિયાતનો મોટો હિસ્સો કાર્બોદિત પદાર્થો અને ચરબીમાંથી મળે છે. પરંતુ જ્યારે આ બે પોષકતત્વો અપૂરતા પ્રમાણમાં હોય અને આપણી શારીરિક જરૂરિયાત પૂરી ન થઈ શકે ત્યારે શક્તિ પૂરી પાડવા પ્રોટીનનું ચયાપચય થાય છે.
ચરબી આપણને કાર્બોદિત પદાર્થ અને પ્રોટીનની સરખામણીમાં અઢી ગણી શક્તિ આપે છે.એક ગ્રામ કાર્બોદિત પદાર્થ અને એક ગ્રામ પ્રોટીન આશરે ૪ કિલો/કેલરી આપે છે. જ્યારે એક ગ્રામ ચરબી આશરે ૯ કિલો/ કેલરી આપે છે. ( આહારનું શક્તિ મૂલ્ય ‘ કિલો/ કેલરી ’ મા મપાય છે. )

2. શરીર-ઘડતર (વૃદ્ધિ-વિકાસ) નું કાર્ય : બાળક મોટું થતું જાય તેમ તેના વજન અને ઊંચાઈ બંન્નેમાં વધારો થાય છે. જે તેના યોગ્ય પ્રકાર અને યોગ્ય પ્રમાણના ખોરાકને લીધે શક્ય બને છે. આહારના આ કાર્યને શરીર ઘડતરનું કાર્ય કહે છે.
આપણા શરીરમાં દરેક ક્ષણે નવા કોશો તથા પેશીઓ ઊમેરાતા રહે છે. તેમજ જુના કોશો અને પેશીઓ વિઘટિત થતા રહે છે, એટલે કે નાશ પામતા રહે છે. આહાર આ ઘસાયેલી પેશીઓને દુરસ્ત કરવામાં ( પાછું મેળવવા) તથા નવી પેશીઓની રચનામાં મદદ કરે છે.પરિણામે શરીરની વૃધ્ધિ થાય છે. આમતો બધાંજ પોષકતત્વો આ કાર્યમાં મદદરૂપ થાય છે.પરંતુ તેમાં પ્રોટીન,ખનીજક્ષાર અને પાણી મહત્વના છે.
પાણી શરીરના પ્રત્યેક કોશમાં રહેલા મહત્વના ઘટકોમાંનુ એક ઘટક છે. આપણા શરીરના કુલ વજનના ૬૫% જેટલું વજન પાણીનું હોય છે. એજ પ્રમાણે શરીરના પ્રત્યેક કોશમાં પ્રોટીન હોય છે. હાડકાંને મજબૂત રાખવા કેલ્શિયમ જેવું ખનીજક્ષાર મહત્વનું છે. અલબતા દરેક કોશમાં બાકીના તમામ ઘટકો પણ થોડા પ્રમાણમાં હોય છે.
યોગ્ય પ્રકારના ખોરાકને યોગ્ય માત્રામાં લેવીથી આપણને આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસની ખાતરી મળે છે.
3. શરીર-નિયમનનું તથા શરીર-સંરક્ષણનું કાર્ય : શરીરમાં વિવિધ ક્રિયાઓ સતત ચાલતી રહે છે. આહાર આ ક્રિયાઓનું નિયમન કરવામાં સહાયભૂત બને છે. ઉપરાંત શરીરને કોઈ જાતનો ચેપ ન લાગી જાય તથા કોઈ રોગ થઈ ન જાય તેમ કરવામાં પણ આહાર મદદરૂપ થાય છે.

(a) શરીરનું નિયમન કરનાર મુખ્ય પોષકતત્વો પ્રોટીન, વિટામિન, ખનીજક્ષાર તથા પાણી છે. શરીરમાં પેપ્સીન, રેનીન, ટ્રીપસીન જેવા ઊત્સેચકોની મદદથી અનેક ક્રિયા-પ્રક્રિયા થયા કરે છે. આ ઊત્સેચકો શું છે? તેનું કાર્ય શું છે ? ઊત્સેચકોને અંગ્રેજમાં enzymes કહે છે તે પાચકરસો છે. તે શરીરની પ્રક્રિયાઓને સરળ, સહજ અને ઝડપી બનાવે છે. તેમનું કાર્ય ઊદ્દીપક જેવું છે. કોઈ ક્રિયા ધીમી હોય તો જો તેમાં ઊત્સેચક ભળે તો તે ઝડપી બને છે તેમજ ઊત્સેચકો શ્વાસોચ્છ્વાસ તથા ખોરાકના પાચન, શોષણ અને ચયાપચય જેવી ક્રિયાઓમાં સામેલ થાય છે.
બધા ઊત્સેચકો પ્રોટીન જ હોય છે. આ પ્રોટીન આપણા શરીરની વિવિધ ક્રિયાઓના નિયમનમાં મદદ કરે છે. તે જ રીતે વિટામિનો ખાસ કરીને બી સમૂહના વિટામિન ( B1,B2…) અને ખનીજક્ષાર પણ આપણા શરીરની ક્રિયાઓના નિયમનમાં સહાયભૂત બને છે.
પાણી આપણા શરીરના ઘટકોમાંનુ સૌથી અગત્યનું ઘટક છે. આપણા શરીરના કુલ વજનનો ૬૫% ભાગ પાણી છે. ઊપરાંત તે આપણી દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન પણ કરે છે.
પાણી ને કારણે પરસેવો, પેશાબ તથા મળરૂપે નકામા દ્રવ્યો શરીરની બહાર નીકળી શકે છે.

(b) આપણા શરીરમાંના કેટલાક પ્રોટીન ઘટકો પ્રતિરક્ષક ( ગેમા-ગ્લોબ્યુલિન્સ ) તરીકે ઓળખાઈ છે. આ પ્રોટીન ઘટકો સૈનિકની જેમ રોગ જેવા શત્રુઓનો સામનો કરે છે અને તેથી આપણે ઘણા બધા ચેપ અને રોગોથી બચી જઈએ છીએ.
તે જ પ્રમાણે વિટામિન આપણા શરીરની તથા ત્વચાની તંદુરસ્તી જાળવે છે અને આપણને રોગોથી બચાવે છે. કેટલાક વિટામિનની ઊણપને કારણે રોગિષત્વચા પર કાપા પડી જાય છે. આવા કાપા દ્વારા રોગના જંતુઓ આપણા શરીરમાં દાખલ થઈ જાઈને આપણને રોગિષ્ટ બનાવે છે.
ક્યારેક શરીર ઘા વાગ્યો હોય અને ઘામાંથી લોહી નીકળતું હોય ત્યાર પછી થોડી જ વારમાં ઘામાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે. થોડી વાર પછી ત્યાં લોહી જામી જાય છે. તેથી લોહી નીકળતું અટકે છે. રુધિરમાં કેલ્શિયમ અને વિટામિન ‘ કે ’ ની હાજરી ને કારણે આવું બને છે. આમ, કેલ્શિયમ અને વિટામિન શરીર સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે.
આપણા શરીરમાં હ્રદય, મગજ વગેરે જેવા નાજુક અવયવોની ફરતે પાણી હોય છે. આવા અવયવોની ફરતે રહેલું આ પાણી તે અવયવોને આંચકા અને બહારના આઘાતોથી બચાવે છે. તેજ રીતે શરીરના બહારના પડ, ત્વચાની નીચે ચરબી હોય છે. આ ચરબી આપણને પડી જઈએ ત્યારે આપણા શરીરને થતા નુકસાનથી આપણને બચાવે છે. આમ, પાણી અને ચરબી શરીર નિયમન અને સંરક્ષણમાં સામેલ છે.
આહાર આપણને આપણી દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવામાટે અને ચેપ,રોગ અને બાહ્ય ઈજાઓથી રક્ષણ આપવા માટે વિવિધ પોષક તત્ત્વો પૂરા પાડે છે.
( B ) મનોવૈજ્ઞાનિક કાર્ય

આહાર આપણને વિવિધ પોષક ઘટકો પૂરાં પાડવા ઉપરાંત આપણી ભૂખ સંતોષે છે અને માનસિક સંતોષ આપે છે. ભાવતો આહાર ખાવા મળે ત્યારે તેમાંથી આનંદ મળે છે તેજ રીતે જો ગમતી વ્યક્તિ રસોઈ બનાવે રસોઈ બનાવે તોપણ ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવાર સફળતાના પુરસ્કાર તરીકે આહારનો ઊપયોગ કરવામાં આવે છે. બાળકને મળેલી સફળતા માટે તેને ચોકલેટ, આઈસ્ક્રીમ કે તેમને ભાવતી વસ્તુ આપવામાં આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં શિક્ષા રૂપે આહાર આપવાનું બંધ પણ કરવામાં આવે છે. આ બધી આહારના મનોવૈજ્ઞાનિક પાસાં તરીકે ઓળખાવી શકાય.
( C ) સામાજીક કાર્યો

આહાર સામાજીક દ્રષ્ટિએ પણ એટલો જ મહત્વનો છે. જુદા-જુદા વર્ગના, જ્ઞાતિના અને ધર્મના લોકોને નજીક લાવવામાં સહાયરૂપ થાય છે. આપણા સામાજીક સંમેલનો અને સમારંભો પછી અલ્પાહાર યા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જન્મદિવસ કે વિવાહ યા લગ્નસમારંભમાં એકબીજા સાથે મળી આનંદ વ્યક્ત કરવામાં તથા આનંદમાં સહભાગી થવામાં આહાર સહાયભૂત બને છે. સગાસંબંધીઓને કે મિત્રોને જમવા કે ચાપાણી માટે આમંત્રણ આપીને તેમના પ્રત્યેની આતિથ્ય- સત્કારની ભાવના વ્યક્ત કરવામાં તથા તેમના પ્રત્યેની કાળજી દર્શાવવામાં આહાર મદદરૂપ થાય છે. તે જ રીતે દિવાળી, ઈદ, નાતાલ જેવા તહેવારો કે ઉત્સવ સમયે મીઠાઈની આપલે આપણા આનંદમાં અન્ય લોકોને સહભાગી બનાવવાની રીતોમાની એક રીત છે.