કેલ્શિયમ અને ફોસ્ફરસ બંન્ને ખનીજક્ષારો આપણા શરીરમાં સહયોગી રૂપથી કામ કરે છે. હકીકતમાં આ સહયોગી( એકીકૃત ) થવાની ક્રિયા જ ખનીજક્ષારોની વિશેષતા છે. આપણા શરીરમાં મળી આવતા બધા ખનીજક્ષારોમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ નું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ બંન્ને ખનીજક્ષારો મળીને શરીરના કુલ ખનીજક્ષારોના પ્રમાણના 75% ભાગ બનાવે છે. મનુષ્યના શરીરમાં લગભગ 1200 ગ્રામ કેલ્શિયમ હોય છે. જેમાંથી વધુ પડતુ પ્રમાણ હાડકાં તથા દાંતોમાં હોય છે. બાકીનો ભાગ મુલાયમ કોષો તથા શરીરના પ્રવાહી પદાર્થમાંથી મળી આવે છે.
પ્રાપ્તિસ્થાન
આપણા રોજીંદા ખોરાકમાં માખણ અને ઘી સિવાયની દૂધની બનાવટો તથા દૂધમાંથી કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. નવજાત શિશુને માના દૂધમાંથી ખૂબ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. આ ઊપરાંત લીલાં પાંદળાવાળા શાકભાજી જેવાકે પાલકની ભાજી, મેથીની ભાજી વગેરેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. પ્રાણીજન્ય આહાર જેમકે માંસ, માછલી( ખાસ કરીને ચિંગરી તથા ચેલા જેવી સૂકી માછલી ), સમુદ્રમાંથી મળી આવતા અન્ય ખાદ્યપદાર્થો જેમકે કરચલાં, જીંગા વગેરે…તથા ઈંડામાંથી પણ કેલ્શિયમ મળી આવે છે. રાગી( દક્ષિણ ભારતમાં વપરાતું એક અનાજ જે મિલેટ કહેવાય છે ) ખાસ કરીને કેલ્શિયમનું ખૂબ સારુ પ્રાપ્તિસ્થાન છે. દાળો જેમકે ચણાની દાળ, અળદદાળ, મગનીદાળ, મઠ, રાજમા, સોયાબીન આ બધામાં પણ ઘણી માત્રામાં કેલ્શિયમ હોય છે. આ સિવાયના અનાજમાં કેલ્શિયમ મધ્યમસરનું હોય છે. તેલીબિયાં ખાસ કરીને તલમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગરવાળા ફળો( સૂકોમેવો ) જેમકે નારિયલ, બદામ, અખરોટમાં પણ ઘણા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.
જ્યારે ફોસ્ફરસ માટે, જે ભોજનમાં પ્રોટીન તથા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી આવે છે તેમાં ફોસ્ફરસ પણ સારી માત્રામાં મળી આવે છે. ઈંડા, દૂધ, ચિકન તથા માછલી ફોસ્ફરસના સારા સ્ત્રોત છે. અનાજ પણ ફોસ્ફરસનું સારુ સ્ત્રોત છે.
કાર્ય
કેલ્શિયમનું મુખ્ય કાર્ય આપણા હાડકાં અને દાંતનું ઘડતર કરવાનું તેમજ તેમને તંદુરસ્ત રાખવાનું છે. કેલ્શિયમ આ કાર્ય VIT-D ની હાજરીમાં ફોસ્ફરસ સાથેના મિશ્રણથી કરે છે. ઊપરાંત વિવિધ દેહધાર્મિક ક્રિયાઓનું( જેવીકે રુધિરનું જામવું વગેરે ) નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે.
( 1 ) હાડકાં તથા દાંતો નો વિકાસ ઃ-
કેલ્શિયમ તથા ફોસ્ફરસ મુખ્યત્વે હાડકાં તથા દાઁતોમાં મળી આવે છે. હાડકામાં કેલ્શિયમ તથા ફોસ્ફરસ 2 ઃ 1 ના ગુણોતર ( પ્રમાણ ) માં હોય છે. હાડકામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને અમુક બીજા ખનીજક્ષારો તથા પાણીની સાથે મળીને એક સંયોજન બનાવે છે. આ સંયોજન હાડકાઓને મજબૂતિ અને સ્થિરતા આપે છે. હાડકાંની જેમ, દાંત માટેના સારા વિકાસ માટે કેલ્શિયમ જરૂરી છે. આજ કારણ છે કે વૃદ્ધિ ના તબક્કા વખતે કેલ્શિયમ ની બહુ વધારે પ્રમાણમાં જરૂરિયાત હોય છે.
( 2 ) શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ઃ-
હાડકાં અને દાંતોના નિર્માણ કાર્ય ઊપરાંત, કેલ્શિયમ અને ફોસ્ફરસ નિયંત્રણ( regulatory ) કરવાનું કાર્ય પણ કરે છે.
- સ્નાયુઓ ખાસકરીને હ્રદયના સ્નાયુઓનુ સંકુચન તથા ફૈલાવો થવાની ક્રિયા ને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
- પોષકતત્વોને કોષોની અંદર લઈ જવું તથા બહાર લાવવાની ક્રિયામાં સહાયતા કરે છે.
- એક ચેતા કોષથી બીજા ચેતા કોષ સુધી સંદેશો મોકલવામાં સહાય કરે છે.
- લોહીના ગઠ્ઠાને જમાવવામાં મદદ કરે છે.
જ્યારે ફોસ્ફરસ નીચે મુજબના મહત્વના કાર્ય કરે છે.
- ફોસ્ફરસ એવા પદાર્થને બનાવવામાં મદદ કરે છે કે જે શરીરમાં ચરબીના પરિવહન માટે જરૂરી છે.
- સહઊત્સેચકનો એક ભાગ બની ચયાપચયમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
- અમુક મૂળભૂત આનુવંશિક પદાર્થોના નિર્માણ માટે પણ જરૂરી છે. આ આનુવંશિક પદાર્થો જ માતા-પિતા ના ગુણોને તેના સંતાનમાં લઈ જવા માટે જવાબદાર હોય છે.
- ફોસ્ફરસ વધુ શક્તિવાળા સંયોજનનો એક ભાગ છે( એટલે કે વધુ શક્તિવાળા સંયોજનની રચના કરે છે. ) આ સંયોજન ના રૂપમાં કોષોમાં શક્તિનો સંગ્રહ થાય છે અને જરૂર પડ્યે આ શક્તિ ઊપયોગમાં લેવાય છે. સ્નાયુઓના કોષો આનું મુખ્ય ઊદાહરણ છે. જ્યાં ફોસ્ફરસ શક્તિનો સંગ્રહ કરે છે. સ્નાયુઓમાં સંકોચનની ક્રિયા આના કારણે જ સંભવ બને છે.
શોષણ અને ઊપયોગ
કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ મુખ્યત્વે નાના આંતરડાના ઊપરના ભાગમાં થાય છે. સામાન્ય રીતે જોવામાં આવ્યુ છે કે સરેરાશ ભારતીય ભોજન થી માત્ર 20-30 ટકા કેલ્શિયમ શોષિત થાય છે. બાકીનું કેલ્શિયમ મળ દ્વારા નિકળી જાય છે. શોષણ થયેલુ કેલ્શિયમ શરીરમાં જુદાં-જુદાં કાર્યો માટે ઊપયોગમાં લેવાય છે. શોષણ થયેલા કેલ્શિયમનો બહુ જ ઓછુ પ્રમાણ મૂત્ર દ્વારા પણ નિકળી જાય છે.
હવે જોઈએ એવા પરિબળો કે જે કેલ્શિયમના શોષણને પ્રભાવિત કરે છે.
( A ) શારીરિક જરૂરિયાત ઃ– વૃદ્ધિ અને વિકાસ નો તબક્કો જેમકે ગર્ભાવસ્થા, સ્તનપાનવસ્થા, શિશુવસ્થા, બાલ્યાવસ્થા વગેરેમાં કેલ્શિયમના શોષણનું પ્રમાણ વધી જાય છે. આમ, જ્યારે શરીરમાં કેલ્શિયમ ની માંગમાં વધારો થાય છે ત્યારે આ વધેલી માંગની પૂર્તિ માટે કેલ્શિયમનું શોષણ પણ વધુ થાય છે.
( B ) ભોજનમાં રહેલા પોષકતત્વો ઃ- VIT-D, પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો ભોજનમાં રહેલા એવા પોષકતત્વો છે જે કેલ્શિયમ ના શોષણને વધારવામાં મદદ કરે છે. ફોસ્ફરસ પણ કેલ્શિયમના શોષણ ને પ્રભાવિત કરે છે. હકીકતમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો ગુણોતર કેલ્શિયમના શોષણ ને પ્રભાવિત કરે છે. અર્થાત વધુ ફોસ્ફરસ વાળો ખોરાક કેલ્શિયમના શોષણ ને ઓછું કરી દે છે.
( C ) બાધક કે અવરોધક પદાર્થ ઃ- બાધક કે અવરોધક પદાર્થ( inhibitors ) ભોજનમાં રહેલા એવા પદાર્થ છે કે જે કેલ્શિયમ ના શોષણમાં બાધા ઊત્પન્ન કરે છે. અનાજ તથા લીલા પાંદળાવાળા શાકભાજી કેલ્શિયમના સારા સ્ત્રોત છે. પરંતુ તેમા રહેલુ બધુ જ કેલ્શિયમ શરીરને મળતુ નથી કારણકે આ પદાર્થોમાં અમુક એવા પદાર્થ [ જેમકે અનાજમાં ફાઈટેટ્સ( phytates ) અને લીલા પાંદળાવાળા શાકભાજીમાં ઓક્સેલેટ્સ ( oxalates )] પણ મળી આવે છે જે કેલ્શિયમની સાથે જોડાઈને તેના શોષણમાં બાધા નાખે છે. આવા પદાર્થોને બાધક કે અવરોધક પદાર્થ કહે છે.
કેલ્શિયમ ની જેમ ફોસ્ફરસનું શોષણ પણ નાના આંતરડા ના ઊપરના ભાગમાં થાય છે. અનાજ, દાળો અને ગરવાળા ફળો( સૂકોમેવો ) ફોસ્ફરસના સારા સ્ત્રોત છે. પરંતુ તેમા રહેલુ મોટાભાગનું ફોસ્ફરસ શરીરમાં શોષિત થઈ શકતુ નથી.તેમાં મળી આવતુ ફોસ્ફરસ બન્ધ રૂપ( bound form ) માં હોય છે. એટલેકે બીજા સંયોજન સાથે જોડાયેલુ હોય છે જે શરીરમાં શોષાઈ શકતુ નથી.
શરીર પર અસર
કેલ્શિયમની ઊણપ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ તથા બાળકોમાં જોવા મળે છે. બાળકોમાં આના કારણે જોવા મળતાં લક્ષણો VIT-D ની ઊણપ થી થતા રિકેટ્સના લક્ષણો જેવા હોય છે. જ્યારે કેલ્શિયમની ઊણપને કારણે સ્ત્રીઓમાં ઓસ્ટીઓમેલેશિયા જેવા લક્ષણો જોવા મળે છે. જેના વિશે આપણે આગળ VIT-D માં જોઈ ગયા.(https://ketnapabari.home.blog/2020/03/22/વિટામિન-ડીvit-d/(opens in a new tab)