
આપણે આગળ જોઈ ગયા તેમ (https://ketnapabari.home.blog/2020/02/02/પોષક-તત્ત્વોના-કાર્યો-પ્/ ) સૂક્ષ્મમાત્રાના પોષકઘટકો ને બે વર્ગમાં વહેંચી શકાય. વિટામિન અને ખનીજક્ષાર. વિટામિન શબ્દમાં ‘વિટા’ નો અર્થ જીવન થાય છે. વિટામિન આપણા જીવન તથા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વના છે. તેનું કાર્ય ચયાપચયનું ( metabolism ) નિયંત્રણ કરવું , શરીરની વૃદ્ધિ તથા શરીરની જાળવણી કરવી અને શરીરને બીમારીથી બચાવવાનું છે. સારી તંદુરસ્તી માટે વિટામિન ખૂબ જ મહત્વના પોષક ઘટકો છે. કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન અને ફેટ ની જેમ ભોજનમાંથી વિટામિન વધુ પ્રમાણમાં નથી મળતા. તેનો મતલબ એ નથી કે શરીરમાટે વિટામિનની જરૂરિયાત વિટામિનની ગોળીઓ ખાઈને કરવી.યોગ્ય પ્રકારનો વિટામિન યુક્ત ખોરાક ખાઈને આપણા શરીરની વિટામિનની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકાય છે. આપણા શરીરને વિટામિનની બહુ થોડા પ્રમાણમાં જરૂર પડે છે. આપણું શરીર જાતે વિટામિનો બનાવી શકતું નથી. આથી ખોરાકમાં તે હોવા જરૂરી છે. ખોરાકમાં વિટામિનોના અભાવથી વિવિધ રોગો થાય છે. અમુક વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે અમુક ચરબીમાં દ્રાવ્ય હોય છે. આ આધારે વિટામિનોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ચરબી દ્રાવ્ય વિટામિન અને જલ દ્રાવ્ય વિટામિન. આપણે આ વિભાગોની હેઠળ એક પછી એક વિટામિન વિષે, તેના કાર્યો, પ્રાપ્તિ સ્થાન તેમજ શરીર પર તેની અસરો વિષે જોઈશું .

- ચરબી દ્રાવ્ય વિટામિન ( Fat soluble) :- Vitamin A, D, E અને K ચરબીદ્રાવ્ય વિટામિન તરીકે ઓળખાઈ છે. આ વિટામિનના શોષણ માટે ખોરાકમાં ચરબી હોવી જરૂરી છે. તે ચરબીમાં ઓગળતા હોવાથી, આહારમાંનો તેનો વધારાનો જથ્થો ચરબી સાથે શરીરમાં , ખાસ કરીને યકૃતમાં જમા થાય છે.
- જલ દ્રાવ્ય વિટામિન ( water soluble ) :- બી-સમૂહનાં વિટામિનો અને વિટામિન સી આ પ્રકારના વિટામિનો છે. આ વિટામિનો પાણીમાં દ્રાવ્ય છે તેથી તેનો વધારાનો જથ્થો મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. ચરબી દ્રાવ્ય વિટામિનોની જેમ આ વિટામિનો આપણા શરીરમાં વધારે માત્રામાં સંગ્રહિત( store )થઈ શકતા નથી. આ વિટામિનનો લાંબા સમય માટે શરીરમાં સંગ્રહ કરી શકાતો ન હોવાથી આપણા રોજના આહારમાં તે પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે.
બહુવચન: 0 એ “વિટામિન( VITAMIN )” પર વિચારો કર્યા
પિંગબેક: બી સમુહના વિટામિન( B GROUP VITAMINS) – આપણે અને આપણો આહાર