ભારત એ વિવિધ રાજ્યોમાં ફેલાયેલો બહોળી વસ્તી ધરાવતો દેશ છે. આથી, આહારની ટેવોમાં અને ખાદ્યપદાર્થોની વપરાશની પદ્ધતિઓમાં ઘણી વિવિઘતા હોય છે. ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. વસ્તીનો મોટોભાગ શાકાહારી છે અને પ્રમાણમાં ઓછા લોકો માંસાહાર લેતા હોય છે. કોઈપણ દેશના લોકોનું પોષણધોરણ તેના આહારની પદ્ધતિનું પ્રતિબિંબ છે અને પોષણધોરણમાં સુધારો કરવાનો કોઈપણ પ્રયાસ કરતા પહેલા આહારની આપણી પદ્ધતિઓ કેટલી આરોગ્યપ્રદ છે એ જાણવું જરૂરી છે.
આપણા દેશમાં વપરાતા ખાદ્યપદાર્થો

ભારતીય આહારમાં મુખ્યત્વે ઘઊ, ચોખા, બાજરી, જવ, જુવાર, મકાઈ, રાગી વગેરે જેવા અનાજનો ઊપયોગ થાય છે. મગ, મઠ, અડદ, તુવેર, ચણા, મસૂર, સોયાબીન વગેરે.. આપણા ઘરેલુ ખોરાકમાં સામાન્ય રીતે વપરાતા કઠોળ છે. તાજાફળો અને શાકભાજી મુખ્યત્વે ઋતુઓ પ્રમાણે મળતા હોય છે. ભારતમાં વપરાતા પ્રાણી જ આહારમાં ઈંડા, ગોશ્ત, મરઘાં-બતકાંનું માંસ અને ઘણી જાતની માછલીઓનો ઊપયોગ થાય છે. ઊપરાંત દૂધાળા ઢોરની વસ્તી ઘણી હોવાને લીધે દૂધ એક મહત્વનો ખાદ્યપદાર્થ છે. ભારતમા તલ, મગફળી, નાળીયેરી, સોયાબીન વગેરે જેવા તેલિબિયાં તેમજ મરી, મરચું, ઈલાયચી, રાઈ, લવિંગ, ધાણા વગેરે જેવા અનેક પ્રકારના મસાલા અને તેજાનાનો ઊપયોગ થાય છે.
આપણી ભોજન પધ્ધતિઓ
ભારતમાં શાકાહારી અને માંસાહારી બંન્ને પ્રકારનો આહાર લેનાર લોકો વસે છે. પરંતુ મુખ્યત્વે શાકાહારી પધ્ધતિ વધુ પ્રચલિત છે. જેમાં અનાજ, કઠોળ, ફળો, શાકભાજી, દૂધ અને ધૂધની બનાવટોનો સમાવેશ થાય છે. શાકાહારી પધ્ધતિ લાંબા સમયગાળા દરમિયાન ઊદ્ભવી છે. જેની ફિલસૂફી મહાવીર, બુદ્ધ અને રાજા અશોકે આચારમાં મૂકેલી અહિંસાના મૂળમાં જોવા મળે છે. ધર્મ અને સાંસ્કૃતિક મનોભાવના ઘણા લોકોને પ્રાણીઓની હત્યા કરીને મેળવાતા ખાદ્યપદાર્થો આરોગતા અટકાવે છે. ભારતમાં માત્ર 20% જેટલી વસ્તી જ માંસાહારી છે. તેમાં પણ અનાજ જ મુખ્ય ખોરાક હોય છે. એટલે કે માંસ-માછલી યા મરઘાની વાનગી અનાજની સાથે ખવાય છે. માંસાહારીઓ પણ તેમના ભોજનમાં પ્રાણીજ ખાદ્યપદાર્થોનો દરરોજ સમાવેશ કરતા નથી. જેના બે કારણો છે. એકતો ખરીદશક્તિ ઓછી હોય છે અને પોતાના ખોરાક અંગે સભાનપણે પસંદગી કરવામાં આવે છે. બીજુ ધર્મ આવા આહારના વપરાશની મનાઈ ફરમાવે છે. હિંદુઓમાં ગાય એક પવિત્ર પ્રાણી મનાય છે. તેથી તેઓ ગાયનું માંસ ખાતા નથી. તેવી રીતે મુસ્લિમોમાં ડૂક્કરનું માંસ ખવાતુ નથી.
ભોજનની પધ્ધતિ ગમે તે હોય ગરીબ અને તવંગર લોકોની આહાર પધ્ધતિમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. ગરીબ લોકોના આહારમાં મુખ્યત્વે અનાજ હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ખનિજક્ષાર ખૂબ પ્રમાણમાં ધરાવતા હોય તેવા કઠોળ તથા ઋતુ-ઋતુના શાકભાજી અને ફળો બહુ ઓછા પ્રમાણમાં હોય છે. ગ્રામિણ અને શહેરી પ્રજાના આહારની પધ્ધતિમાં પણ તફાવત જોવા મળે છે. ગામડામાં રહેતા લોકોનો મુખ્યવ્યવસાય પશુપાલન અને ખેતી હોય છે. તેથી તેમના આહારમાં દૂધ અને ધૂધની બનાવટો અને ખેતીની પ્રવૃતિમાં જોડાયેલા હોવાને કારણે ઋતુઓ અનુસાર પ્રાપ્ત થતા ખાદ્યપદાર્થો વધુ પ્રમાણમાં આરોગે છે. જ્યારે શહેરીજનોમાં ગરીબોનો મોટોભાગ કે જે ઔધોગિક મજૂરોનો છે. તે જે આહાર લે છે તે પૂરતો પોષણક્ષમ હોતો નથી. શહેરમાં પ્રવર્તતા ઊંચા ભાવો અને આહારની પોષણક્ષમતા વિશે કામદારોની અજ્ઞાનતા આ પરિસ્થિતિ માટે કારણભૂત છે. શહેરમાં વસતા લોકોમાં આર્થિક રીતે સધ્ધર હોય તેવા લોકો આહારને બદલે કપડા અને મનોરંજન પાછળ નાણા વધુ ખર્ચે છે. અને જો આહાર પાછળ વધુ નાણા ખર્ચાય ત્યારે શરીરને રક્ષણ આપે તેવા ખાદ્યપદાર્થોને બદલે મોભાદાર ખાદ્યપદાર્થો પાછળ વધુ ખર્ચ થાય છે. જેમકે ગોળ ને બદલે ખાંડ, બાફિયા ચોખાને બદલે છડેલા ચોખા, મીઠાઈઓને લોકો પહેલી પસંદગી આપે છે.
આનાથી તેમના આહારના ખર્ચમાં વધારો થાય છે પરંતુ આહારના પોષણમુલ્યમા વધારો થતો નથી.
આપણા આહારની પોષણ પર્યાપ્તતા

મોટાભાગના લોકો માને છે કે આહારની શાકાહારી પધ્ધતિ પોષણની દષ્ટિએ પર્યાપ્ત નથી. તાજેતરમાં થયેલા સંશોધનોને આધારે હવે આ છાપ બદલવા લાગી છે. શાકાહારી અને માંસાહારી પધ્ધતિના ભોજનની પોષણ પર્યાપ્તતાની તુલના કરતા અનેક અભ્યાસો થયા છે. આ અભ્યાસો દ્વારા એમ દર્શાવાયુ છે કે શુધ્ધ શાકાહારીના ભોજનમાં જો તમામ મૂળભૂત આહારજૂથના (https://ketnapabari.home.blog/2020/08/09/મૂળભૂત-આહારજૂથmain-food-groups/) ખાદ્યપદાર્થો સામેલ કરવામાં આવે તો તેઓને સારું પોષણ મળી શકે છે. આ રીતે તેમણે પણ પૂરતી શક્તિ અને આવશ્યક પોષણઘટકો મળી શકે છે. માંસાહારીઓ કરતા શાકાહારીઓની સહનશક્તિ અને કામ કરવાની શક્તિ ઊંચા પ્રકારની હોય છે.હિમાચલપ્રદેશના શેરપાઓએ બતાવી આપ્યુ છે કે અતિ ઊંચાઈઓ અને અસહ્ય નીચા તાપમાનોમાં પડતી સખત મુશ્કેલીઓ સહન કરવા માટે યુવાનોને તૈયાર કરવા માટે શાકાહારી ખોરાક સક્ષમ નીવડે છે. શાકાહારીઓનું શરીર ઘાટીલું બને છે અને શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ નીચું રહે છે. બીજા ઘણા બધા પોષણ સંબંધી લાભો સમતોલ શાકાહારી ભોજનથી મળી રહે છે. જો માંસાહારીઓ તેમના ભોજનમાં એકલું માંસ જ આરોગતા હોય તો તેઓના ભોજનમાં પ્રોટીન અને ચરબી જરૂર કરતા વધારે હોય છે. પશ્ચિમના દેશોમાં લોકોની મુખ્ય વાનગીઓ માંસમાંથી બનાવેલી હોય છે. જેને કારણે હ્રદય, મૂત્રપિંડ અને મળાશયના રોગો થાય છે. ભારતમાં માંસાહારી લોકોમાં આવી બીમારીઓ કે સ્થૂળતા જોવા મળતી નથી કારણકે ભારતીય માંસાહારી લોકોના ભોજનમાં પણ મુખ્ય વાનગીઓ અનાજમાંથી બનાવેલી હોય છે અથવા અનાજની સાથે લેવામાં આવે છે.

કોઈપણ આહારપધ્ધતિ શાકાહારી હોય કે માંસાહારી તેમાં રેસાવાળા કે રુક્ષ પદાર્થો સારાએવા હોય તો મળાશયના કેન્સરના કિસ્સાઓ નહિવત્ કે બહુ ઓછા જોવા મળે છે. શાકાહારીઓએ તેના ભોજનમાં અનાજ ઊપરાંત પ્રોટીન, વિટામિન તથા ખનિજક્ષારોથી ભરપૂર ખોરાક લેવા જોઈએ. જેથી અપૂરતા કે અધૂરા પોષણક્ષમ આહારની સ્થિતિથી બચી શકાય. પ્રોટીનશક્તિના અલ્પપોષણથી થતા રોગો, એનિમિયા, વિટામિન-એ ની ઊણપથી થતા રોગો આપણા દેશમાં ગરીબલોકોની પોષણસંબંધી મુખ્ય સમસ્યા છે. જેને નિવારવા ઘણા જ વિવિધ સંમિશ્રણોથી આથોલાવવો અને ફણગાવવા જેવી સરળ રીતો દ્વારા આહારમાં સુધારો કરી શકાય અને આ રીતે ખર્ચમાં વધારો કર્યા સિવાય આહારના પોષકતત્વોમાં વધારો કરી શકાય.