CAUTION AGAINST EXCESSIVE USE OF SUGAR

ખાંડનો ઉપયોગ

આપણે આપણા આહારમાં ખાંડનો અલગ-અલગ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. જેનાં કેટલાંક ઉદાહરણો આ મુજબ છે.

  • ચા, કૅાફી, દૂધ, છાશ, લસ્સી, શરબત વગેરે પીણાં બનાવવામાં ખાંડ વપરાય છે.
  • રાબ, ખીર જેવી મિઠાઈઓને ગળ્યા અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે.
  • ચટણી, જામ, જેલી વગેરે ખાદ્ય પદાર્થોની કુદરતી કડવાશ કે ખટાશ ઘટાડવા ખાંડ ઉમેરાય છે.
  • જ્યારે ઊંચી સાંદ્રતામાં ખાંડ વપરાય ત્યારે તે ભેજને રોકીને સંરક્ષક તરીકે વર્તે છે. કન્ડેન્સ્ડ મિલ્ક, જામ, જેલી, મુરબ્બા, શરબત વગેરે એવા ખાદ્યપદાર્થો છે જેમાં ખાંડ સંરક્ષક તરીકે કામ કરે છે. તે જ પ્રમાણે બરફી, ગુલાબજાંબુ, રસગુલ્લા જેવી મીઠાઈઓ પણ તેમાં ખાંડ વધુ પ્રમાણમાં હોવાના કારણે લાંબા સમય સુધી રાખી શકાય છે.
  • ટાૅફી, ચાૅકલેટ, પીપરમેન્ટ લગભગ ખાંડની જ બનેલી હોય છે.
  • બિસ્કિટ, કેક જેવા ભૂંજેલા ખાદ્યપદાર્થોમાં રંગ, સોડમ અને સ્વાદ ખાંડને કારણે હોય છે.
  • કેક, બિસ્કિટ વગેરેના સુશોભન માટે આઈસિંગ શુગર વપરાય છે.
  • ખાંડ પાણીમાં ઓગળે છે. ખાંડના દ્રાવણને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે સરળતાથી ખાંડની ચાસણી બને છે. ખાંડની ચાસણી ગરમ કરીને ઘટ્ટ કરી ઠંડી પાડવામાં આવે ત્યારે સ્ફટિકીકરણ થાય છે. લાડવા, ટોપરાપાક જેવી મીઠાઈ બનાવવામાં આ પ્રક્રિયા વપરાય છે.

ખાંડનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક

આપણામાંના મોટાભાગના લોકોને મીઠાઈ આકર્ષક અને લલચાવનારી લાગે છે અને તેથી આપણે જરૂર કરતાં વધુ પ્રમાણમાં મીઠાઈ ખાઈએ છીએ. હવે વધુ પ્રમાણમાં ખાંડ ખાવાથી શું નુકસાન થાય છે તે જોઈએ. ખાંડ એ લગભગ સંપૂર્ણ કાર્બોદિત પદાર્થ છે. તેમાં બીજા કોઈ પોષક ઘટકો નથી. વધુ પડતી ખાંડ સ્થૂળતા લાવે છે એટલે કે વ્યક્તિ અસાધારણ રીતે જાડી થઈ જાય છે. વજન ઘટાડવાનો સૌથી સરળ ઉપાય એ છે કે કાર્બોદિત પદાર્થો અને ચરબીવાળા ખાદ્યપદાર્થો ઓછા ખાવા. રોટલી, ભાત, બ્રેડ વગેરે જેવા ભરપૂર કાર્બોદિત પદાર્થોવાળા ખાદ્યપદાર્થો ઓછા ખાઈએ તો આપણને કાર્બોદિત પદાર્થો ઓછા મળશે જ પણ સાથે સાથે પ્રોટીન અને બીજા પોષક ઘટકો પણ ઓછા મળશે. પણ જો આપણે માત્ર ખાંડ જ ઓછી કરીએ તો માત્ર કાર્બોદિત પદાર્થોનું જ નિયંત્રણ થશે અને બીજા પોષક ઘટકોમાં ઘટાડો થશે નહીં. ઉપરાંત, વધારે ખાંડવાળા ખાદ્યપદાર્થો વધારે પ્રમાણમાં ખાવાથી આપણી ભૂખ મરી જશે. અને પરિણામે જેમાં અગત્યના પોષકઘટકો હોય છે તેવાં શાકભાજી, ફળો, અનાજ વગેરે ખાવાનું ઓછું થઈ જશે. બીજું દાંત માટે પણ ખાંડ ખરાબ છે. ખાંડ અને મીઠાઈના વધુ પડતા ઉપયોગથી દાંતનો સડો થાય છે. બે ભોજન વચ્ચે ગળ્યો નાસ્તો કરવાનું ટાળવું જોઈએ. પીપરમેન્ટ જેવા દાંતમાં ચોંટે તેવા પદાર્થો પણ ન ખાવા જોઈએ.

દાંતનો સડો અટકાવવા ખાંડ ઓછી ખાઓ

ખાંડ એ ગુણધર્મે શુદ્ધ કાર્બોદિત પદાર્થ છે. કાર્બોદિત પદાર્થો શક્તિ આપે છે. આમ, ખાંડ એ સુપાચ્ય એવું શક્તિનું પ્રાપ્તિસ્થાન છે. શક્તિ આપવાની સાથોસાથ ખાંડનું બીજું કાર્ય ગળપણ આપવાનું છે. જરૂરિયાતની માત્રા સુધી શક્તિ મેળવવા માટે, ખાંડનો ઉપયોગ નિયંત્રિત કરી શકાય કારણ કે પુખ્ત વયની વ્યક્તિના આહારમાં શક્તિ મેળવવાના બીજા સ્ત્રોતો પણ હોય છે. ખાંડની સરખામણીમાં ગોળ અર્ધ પક્વ આહાર છે અને તેમાંથી શક્તિ, આયર્ન, ક૨લ્શિયમ અને બી-સમૂહનાં વિટામિન મળે છે. ગોળનું પોષણમૂલ્ય વધુ છે. આથી ખાંડના બદલે ગોળ પસંદ કરવો જોઈએ. આપણી પરંપરાગત વાનગીઓમાં આજે ગોળનું સ્થાન ખાંડે લીધું છે તે આપણી કમનસીબી છે.

ખાંડની જગ્યાએ ગોળ પસંદ કરો. તે વધુુ પોષ્ટિક અને સસ્તો હોય છે.

ખાંડની ખરીદી આપણી જરૂરિયાત પ્રમાણે જ કરવી જોઈએ. ચા, કોફી વગેરે જેવા પીણાં માટે સફેદ દાણાદાર ક્રિસ્ટલિય ખાંડ અથવા ક્યુબ સુગર ખરીદવી જોઈએ. કેક, બિસ્કિટ તથા બીજા સેકીને કરાતા પદાર્થો માટે આઇસિંગ સુગર તથા પીણાંઓ માટે લિક્વિડ સુગર ખરીદવી જોઈએ. જે ખાંડ આપણે ખરીદ્યે તે મિલાવટ વાળી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મધનો કલર, બનાવટ અને સુગંધ કુદરતી હોવા જોઈએ.

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Table of Contents

About the Post
ખાંડના વધુ પડતા ઉપયોગ સામે ચેતવણી( CAUTION AGAINST EXCESSIVE USE OF SUGAR )
Subscribe for Updates
guGujarati
Scroll to Top