રોગોનો ફેલાવો થતો અટકાવવો( PREVENTING SPREAD OF DISEASES )

આહારને સલામત રાખવા અને તેમાંથી પોષકઘટકો વેડફાઈ જતા અટકાવવા કેટલાક સામાન્ય નિયમો આપણે આગળ જોઈ ગયા(https://ketnapabari.home.blog/2020/10/04/આહારની-સલામતી-અને-વ્યક્ત/ ).હવે આપણે પ્રદૂષિત આહાર ખાવાથી ક્યા ક્યા રોગો થઈ શકે અને પાણી, આહાર, રાંધવાનાં તથા પીરસવાનાં વાસણો અને ખાદ્યપદાર્થોને લેવા-મૂકવાની રીતોને કારણે થતા રોગોનો ફેલાવો અટકાવવા શું કરી શકાય તે જોઈએ.

ખાદ્યપદાર્થોથી થતા રોગોનો ફેલાવો અટકાવવો

ઝાડા-ઊલટી, ટાઇફોઈડ, પેરા-ટાઇફોઈડ, મરડો અને કાૅલેરા જેવા રોગો સૂક્ષ્મ જીવોથી થાય છે. આ સૂક્ષ્મ જીવોનો ફેલાવો પાણી અને ખોરાક દ્વારા થાય છે. ક્ષયરોગ દૂધ અથવા ખોરાક દ્વારા પણ ફેલાઈ શકે છે. બંધ ડબ્બાઓમાં મળતા કેટલાક તૈયાર ખાદ્યપદાર્થોમાં ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવોથી બોટ્યુલિઝમ( botulism/food poisoning ) જેવા કેટલાક પ્રાણઘાતક રોગો પણ થાય છે. બંધ ડબ્બામાં મળતા તૈયાર ખાદ્યપદાર્થમાં રહેલી વિવિધ જાતની ફૂગને કારણે શરીરમાં ઝેર ચડવાથી ઝાડા-ઊલટી થવાની શક્યતા પણ રહે છે.

શૂક્ષ્મજીવોની વૃધ્ધિ માટે દૂધ એક ઉતમ માધ્યમ છે. આથી ડિફ્થેરિયા, ટાઇફોઈડ, પેરા-ટાઇફોઈડ, કાૅલેરા, મરડો, લોહિતાંગ જ્વર( scarlet fever ) જેવા રોગોનો ફેલાવો દૂધથી થઈ શકે છે. સદ્ભાગ્યે દૂધ ઉકાળવાની આપણી પધ્ધતિથી એવા તમામ સૂક્ષ્મજીવોનો નાશ થાય છે અને દૂધ પીવા માટે સલામત બને છે.

જમીન ઘણીવાર પ્રાણીઓ અને મનુષ્યોના મળથી દૂષિત થાય છે આથી જમીનની સપાટી નજીક ઊગતા ફળો, શાકભાજીઓ અને લીલી વનસ્પતિઓ દ્વારા અંકુશકૃમિ જેવા પરોપજીવી જંતુઓ ફેલાય છે તે ધ્યાનમાં રાખવું મહત્વનું છે. આવાં ફળો કે શાકભાજીઓ, સૂક્ષ્મજીવોથી મુક્ત બને તે માટે તેમનો ઊપયોગ કરતાં પહેલાં તદ્ન સ્વચ્છ પાણીથી બરાબર ધોવાં જોઈએ અને શક્ય હોય તો તેમને મીઠાનાં કે પોટેશિયમ પરમેંગેનેટના પાણીમાં પલાળવાં જોઈએ.

વાસણોથી થતા રોગોનો ફેલાવો અટકાવવો

જો વાસણોને માટીથી સાફ કરવામાં આવતાં હોય અને તે માટી મનુષ્યો અને પ્રાણીઓની અવરજવરવાળી જગ્યાની હોય તો તે ચેપના ફેલાવાનું મૂળ કારણ બની જાય છે. જો વાસણ સાફ કરવા માટે સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ ન કરી શકતા હોય તો રાખનો ઉપયોગ કરવો જોઈએ. રાખ વાસણ માંજવા માટે જંતુમુક્ત અને સલામત હોય છે. વાસણો લૂછવા માટે અને રાંધવાની જગ્યા સાફ કરવા માટે એકનું એક કપડું વાપરવું ન જોઈએ. વાસણો દ્વારા ચેપ ફેલાવાનાં કારણોમાંનું આ એક મુખ્ય કારણ છે. બીમાર માણસોએ વાપરેલાં વાસણોને જો યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તેના દ્વારા રોગના સૂક્ષ્મજીવોનો ફેલાવો થઈ શકે છે. આથી એવા વાસણો બરાબર સાફ કરવાં જોઈએ અને તડકે સૂકવવાં જોઈએ.

પાણીથી થતા રોગોનો ફેલાવો અટકાવવો

પાણી પણ રોગોના ફેલાવા માટેનું એક મોટું કારણ હોય છે. પાણી જુદી જુદી અનેક જગ્યાઓએથી મેળવવામાં આવે છે. પાણી મેળવવાની જગ્યા જો સલામત અને સ્વચ્છ ન હોય તો તેનાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી વધી જાય છે.આપણું પાણી જો બિનસલામત અને અસ્વચ્છ સ્થળેથી આવતું હોય તો પાણીને ઉકાળ્યા બાદ જ પીવા અને રાંધવા માટે વાપરવું જોઈએ. પીવા અને રાંધવાના પાણીને હંમેશા ગાળીને ઉપયોગમાં લેવું જોઈએ.

રાંધવાની અને પીરસવાની રીતોથી થતા રોગોનો ફેલાવો અટકાવવો

ચેપ અને રોગથી બચવા માટે જે સ્થળોએ રાંધવાની, બેસવાની, પીરસવાની જગ્યા સ્વચ્છ અને સુઘડ હોય અને જ્યાં ખાદ્યપદાર્થોને ઢાંકીને રાખવામાં આવ્યા હોય તો તેવા સ્થળોએ જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ,જો બહાર ખાવાનું થાય તો એવી ખાદ્ય ચીજોને પસંદ કરવી જોઈએ કે જેને તૈયાર કરતી વખતે અને રાંધતી વખતે બહુ વાર હાથ લગાડવાની જરૂર ન પડે. એકવાર વાપરીને ફેંકી દેવાની ડિશોમાં જ્યાં આહાર આપવામાં આવતો હોય તેવી જગ્યાઓને પ્રથમ પસંદગી આપવી જોઈએ.

આહાર દ્વારા થતા રોગોનો ફેલાવો

  • જમીનની સપાટીની નજીક ઊગતાં શાકભાજી અને ફળો દ્વારા
  • દૂધ અને પાણી દ્વારા
  • પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા
  • રાંધનારાઓ અને પીરસનારાઓ દ્વારા

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
Scroll to Top